|| श्री गुरुदेव दयानिधि सुंदर साहेब सुखखानी || काम क्रोध नहीं जिनके उर आ पर्ची अति अदभुत बानी ||
|| जाग्रत पंथ कियो जिन जाहेर कुर कपट हूंकि करि हानि || सो मम चित वसो निसिवासर कीजे कृपा निजी किंकर जानी ||
|| सुंदर साहेब श्री रसिक || रसिक जन सुखदाई || ताके पद पंकज सदा || प्रणवो सीस नमाई ||
જયારે જીવના પુર્વના પુણ્ય હોય ત્યારે તેને રસાત્મિક માર્ગ, પરમધામ દર્શાવવાળા સદગુરૂ અને રસિકોનો સંગ મળે છે. જીવ જયારે અનાયાસે મહાપ્રસાદ મેળવે, અખંડની ભકિત કરતાં સાધુ–સંતોનો સંગ અને આશિર્વાદ મેળવે ત્યારે તેના સુક્ષ્મ સંસ્કાર બંધાય છે.
જયારે જીવના શુધ્ધ સંસ્કાર જાગવાના હોય ત્યારે તેને સદગુરૂ ની વાણીમાં નિષ્ઠા અને વિશ્વાસ જાગે છે. ત્યારે તેને આ જ્ઞાન પ્યારું લાગે છે. એ જીવ ત્યારે સદગુરૂ ને શરણે આવે છે અને ગુરુને ગુરુબાનો આપવા વિનંતી કરે છે.
જયારે બેહદ સંસ્કારી જીવ રસિક બનવાની ઈચ્છા દર્શાવે છે ત્યારે પ્રથમ તેને આગલા દિવસે
ઉપવાસ કરવાની આજ્ઞા કરે છે જેથી શરીર શુધ્ધ થાય. પછી શુભદિને વહેલી સવારે તે સદગુરૂ
પાસે સ્નાનાદિક કરી શુધ્ધ વસ્ત્રાભુષણ પહેરી, હૃદયમાં રસિક થવાની ઉત્કંઠા રાખી આવે છે. ત્યારે
ગુરૂ તેને અક્ષરાતીત અંકિત તિલક બાર ઠેકાણે કરાવે છે. હાથથી વણેલા લાલ દોરામાં ચિત્રિત તુલસી (પારો)
પંચાત્મિક લીલાનુ ધ્યાન કરી ધૂપ આપી તેને ગળામા ધારણ કરાવે છે. અને જેમ શ્રી રસાત્મિક
સદગુરૂ એ સદગુરૂ શ્રી સુંદરસાહેબ ના કાનમાં નિજાનંદ મંત્ર સંભળાવ્યો હતો તેમ સદગુરૂ
અધિકારી જીવ પર કૃપા દૃષ્ટી કરી તેને ગુરૂબાનો આપી કાનમાં નિજાનંદ મંત્ર સંભળાવે છે
અને ત્યારે તે જીવ રસિક બને છે અને રસાત્મિક માર્ગમા ચાલવા તૈયાર થાય છે.ત્યારે આ ગુરુબાના ની વિધિ વખતે સર્વે રસિકો ભક્તિ ના પદો ગાય છે.
રસિકો તુલસી કાષ્ટમાંથી બનાવેલો તુલસી હીરો (પારો) પહેરે છે. તેથી શરીરની સર્વ મલિનતા
દૂર થઈ જાય છે અને શરીર પવિત્ર અને નિર્વિકાર રહે છે. તુલસીનું મહાતમ જાણી તેને અંગ
ઉપર ધારણ કરવાથી પરમ પવિત્ર બનાય છે. તુલસીનો હીરો અને ગોપીચંદનનું તિલક એ રસિકોનો
સોહાગ છે.
ગોપીચંદન નુ તિલક શ્રી અક્ષરાતીત અંકિત છાપથી મંત્ર યુકત રસિકો બાર ઠેકાણે પધરાવે છે ત્યારે તેને સાગર જેટલું સુખ મળે છે. સપનામાં પણ યમનો ડર રહેતો નથી માટે રસિકો ટેકપુર્વક ગોપીચંદનનું તિલક રોજ પ્રેમથી કરે છે.
આ મંત્રયુકત જે તિલક કરે છે તે મર્યા પછી પરમધામને પામે છે. રસિકો મહાતમ જાણી પોતાના અંગ ઉપર તિલક કરે છે. જે મનુષ્ય હદય શુુધ્ધ રાખીને ગોપીચંદન નું તિલક કરે છે તેના ભકિતના અંકુર ફુટે છે. શ્રી રસાત્મિક સદગુરૂ એ કહયું છે કે અક્ષરાતીત અંકિત તિલક કરવું. શ્રી અક્ષરાતીત અંકિત ધણી નું નામ સર્વ નામનો શિરદાર છે. તે નામ સર્વ થી શ્રેેષ્ઠ છે. એટલે રસિકો શ્રી અક્ષરાતીત નામનું તિલક કરે છે આ રસિક નો સોહાગ છે.
રસિક બાનો ધારણ કર્યા પછી સદગુરૂ શ્રી સુંદર સાહેબ મહારાજે રસાત્મિક માર્ગમાં પાલન કરવાની નિત્યક્રિયા સમજાવી છે તેનું વિસ્તૃત વર્ણન કર્યુ છે.
હવે નિમિત કર્મ એટલે રસાત્મિક માર્ગના ઉત્સવો અને તિથિઓ જેમકે જન્માષ્ટમી, રાધાષ્ટમી, વસંત પંચમી, સદગુરુ–મિલન ઉત્સવ, અન્નકોટ ઉત્સવ આદે ઉત્સવો રસિકોએ ભેગા મળી પ્રેમથી ઉજવવા, આપણાં સદગુરૂ જે દિવસે ધામ–ગમન થયા તે તિથિઓ એ સતસંગ અને ભજનાનંદ કરવો. સદગુરૂ શ્રી સુંદર સાહેબ મહારાજ દ્વારા દર્શાવેલ આ નિત્ય અને નિમિત ક્રિયા નું પાલન કરતા સહેજે સહેજે રસિક પરમધામની નજીક પહોચે છે. સદગુરૂ ના વચનોનું પાલન કરતા શ્રી પરમધામ ધણીની રસિક ઉપર મહેર નજર થાય છે અને તે રસિકને પોતોનો જાણે છે.એક પદમાં કહયું છે ને કે
|| નેત્રોથી અળગા થયા, શબ્દ આપણી પાસ,
તે શબ્દે જો ચાલશું, તો પુરશે પોતે આશ. ||